જીવનનો સૌથી ખરાબ અકસ્માત…

ક્યારે કઈ ક્ષણ તમને જીવનભર યાદ રહી જાય એવો પાઠ ભણાવે, કોણ જાણતું હશે? જિંદગીમાં જોઈએ છે એ બધુંય, એથી વધારે પ્રભુ સતત આપ્યા કરે છે એવા ભ્રમમાં ગુલતાન મનને ગત ૧૯મી માર્ચે ત્યારે એવડો મોટો ભયાનક અને જીવનભરનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો કે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, હોશ અને હકારાત્મકતાના લીરે લીરા ઉડી ગયા, શારીરિક – માનસીક આઘાત તો ખરો જ, સાથે સાથે કેટલાક સંબંધોની સચ્ચાઈ પણ અવાંચ્છિતપણે સામે આવી ગઈ.

તે પછી ફેસબુક પર ખરાબ નસીબને લઈને એક અપડેટ પણ કરી, પરંતુ માનસીક અવસ્થા એવી કે શુભેચ્છકોની પૃચ્છા છતાં વધુ કાંઈ લખી શક્યો નહીં… ઘણાં મિત્રોએ ફોન પણ કર્યા પણ….

વાત છે તા. ૧૯ મી માર્ચની. રોજથી થોડોક વધુ મોડો – રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ ઓફીસનું એક અગત્યનું કામ પૂરું કરીને પીપાવાવથી મહુવા ઘર તરફ આવવા નીકળ્યો. મારી સાથે ગાડીમાં ડ્રાઈવર અને કાયમના સાથીદાર તે અમારા અકાઉન્ટ વિભાગના સૂર્યકાંતભાઈ હતા. ગાડી પીપાવાવ બંદરના ગેટને પાર કરી ગઈ અને રોજની જ ઝડપે બહુ ઝડપી નહીં અને બહુ ધીમે પણ નહીં એમ મહુવા તરફ આગળ વધી રહી.

લગભગ પોણા દસની આસપાસ અમે દાતરડી પસાર કર્યું, થોડેક જ આગળ વધ્યા હશું કે એક ભાઈ અમારી ગાડીની સામેથી પસાર થઈ રહેલા દેખાયા, એ અમારા પસાર થવાના રસ્તાને પાર કરી ગયેલા, ત્યાં અચાનક તે પાછા ફર્યા, ગાડીનું હોર્ન જોરથી ગૂંજી ઉઠ્યું, પણ કોઈ કાંઈ સમજી શકે કે વિચારી શકે એ પહેલા તો અમારી ગાડીનો ડાબી તરફનો મિરર – અરીસો તેમને જોરથી અડ્યો – વાગ્યો હોય એવું લાગ્યું. ગાડી તરત ઉભી રહી અને ડ્રાઇવરની પાછળ પાછળ હું અને સૂર્યકાંતભાઈ તેની તરફ દોડ્યા. એ ભાઈ રસ્તા પર જ પડ્યા હતા, તેની આસપાસ લોહી દડવા માંડ્યુ હતું, મેં તરત ૧૦૮ને ફોન કરી જીલ્લા – તાલુકા – જગ્યા વિશે વિવરણ આપવા માંડ્યુ, ડ્રાઈવર એ ભાઈને લઈને એક તરફ ખસેડ્યા. સૂર્યકાંતભાઈ મોબાઈલની બેટરીથી તેમને શું અને કેટલું વાગ્યું છે એ જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં…

બે જણ પાસેના ઢાળીયામાંથી બેટરી લઈને (સામાન્ય રીતે અહીં રાત્રે ખેતરનું રખોપું કરતા લોકો નીલગાયને / રોઝડાને શોધવા – ભગાવવા સાથે ડંગોરો, કે જેના પર લોખંડનો દટ્ટો હોય છે, અને બેટરી સાથે રાખતા હોય છે.) આવ્યા, ઘાયલને જોયો અને ‘અરે આ તો આપણા ગામના ….. ભાઈ છે’ એમ કહી ગામના અન્ય લોકોને ફોન કરવા લાગ્યા. હાઈવેના કિનારા પરનું ગામ હોવાને લીધે ત્રણેક મિનિટમાં જ અનેક લોકો આવવા માંડ્યા, બધાના હાથમાં ડંગોરા. અને અચાનક જ એ ટોળામાંના એકે ગાળાગાળી ચાલુ કરી. ૧૦૮ને વાર લાગે એમ હોવાથી અમે ઘાયલને અમારી ગાડીમાંજ લઈ જવા ખસેડતા હતા, ટોળાએ તેમને ગાડીમાં ન ચડાવવા દઈને રોડ પર જ ઉતાર્યા. આખુંય ટોળું ભયાનક ગાળાગાળી અને મારામારી પર ઉતરી આવ્યું. ગાડીના કાચ તોડી નંખાયા, ડ્રાઈવરને કોલરથી પકડીને લાકડીના (લોખંડના દટ્ટાવાળા ભાગથી) માર મરાવાનો ચાલુ થયો, બે ત્રણ જણ અમને પણ મારવા લાગ્યા, જેમાંથી ડ્રાઈવરને સીટમાંથી ખેંચી રહેલા એકને મેં રોકવા જતા મને છાતી પર જોરથી લાત પડી અને હું રોડ પાસેના ખાળીયામાં (ખેતર અને રોડને કિનારે કરાયેલ ગટર + વાડ વાળા વિસ્તારમાં) પડ્યો અને પડ્યા ઉપર બે ત્રણ જણ લાતો મારવા લાગ્યા. ભરપૂર નશામાં ચકચૂર એવા લોકો, ગાળાગાળી, જોતજોતામાં ટોળું ભયાનક રીતે હિંસક બની ગયું. લગભગ સાતથી આઠ લોકો ડ્રાઈવરને મારવા મંડી પડ્યા, ત્રણેક અમારી પાછળ પડ્યા, સૂર્યકાંતભાઈને છાતી પર તથા ચહેરા પર લાકડીનો માર પડવા લાગ્યો, જેમને બચાવવા જતા મારા હાથ પર પણ દંડો પડ્યો. તેમનું પાકીટ, મારું લેપટોપ ખેંચીને ભાગી જવાની પેરવી કરતા લોકો પાસેથી અમે માંડ માંડ અમારો સામાન બચાવી શક્યા, હવે ગામની સ્ત્રીઓ પણ ત્યાં આવી ગઈ અને તેમણે પણ ગાળો સાથે ચપ્પલો લઈ અમને મારવામાં ઝંપલાવ્યું. આ બધુંય થયું ત્યાં સુધીમાં તેમણે પેલા ઘાયલને અમારી ગાડીમાંથી ઉતારી લીધા હતા એ રસ્તા પર જ હતાં, અને અંતે અમે બૂમો પાડી એટલે તેમને એક છકડામાં દવાખાના તરફ રવાના કર્યા… અને ફરી મારવાનો કાર્યક્રમ શરૂ થયો પણ ત્યાં…

એક બાઈકસવાર શું થયું છે એ જોવા ત્યાં ઉભા રહ્યા, અને તેમને પણ બે ત્રણ ગાળો સાંભળવી પડી એટલે જતા જતા મને કહેતા ગયા ‘આ ટોળું ગાંડુ થયું છે, અહીંથી નીકળો…’ એમણે મને ઈશારો કર્યો અને આગળ ભાગવા કહ્યું. હું સૂર્યકાંતભાઈને શોધીને આગળ ભાગવા લાગ્યો, અમને લાગ્યું કે એક ટોળું અમારી પાછળ પાછળ બૂમો પાડતું આવે છે… એટલે અમે ઝડપ વધારી. લગભગ અડધો-પોણો કિલોમીટર આગળ એ ભાઈ બાઈક લઈને ઉભા રહેલા, તેમણે અમને ઝડપથી બેસવાનું કહ્યું અને જેવા અમે બેઠા, બાઈક મહુવા તરફ ભાગ્યું. દરમ્યાનમાં સૂર્યકાંતભાઈનો હોઠ સોજી ગયેલો અને નાકમાંથી સહેજ લોહી પણ નીકળવા લાગ્યું.

ડ્રાઈવરની શી દશા થશે એ ચિંતામાં અમે કેટલાક મદદરૂપ થઈ શકે લોકોને, ગાડીના માલિકને અને અન્ય ડ્રાઈવરને બાઈક પરથી જ ફોન કર્યા. અમારા મગજ બહેર મારી ગયેલા. સામાન્ય રીતે રાત્રે નોકરી પરથી પાછા ફરતા આખા દિવસના થાકને લઈને હું ગાડીમાં ઝોકે જ ચડ્યો હોઉં છું, એટલે અચાનક થયેલ આ દુર્ઘટના + હુમલાને લઈને અમારા મગજ શૂન્ય થઈ ગયા, મારની પીડા કરતા મનની પીડા વધી ગઈ, ધબકારા ખૂબ વધી ગયા અને જેમતેમ ગભરામણમાં ઘરે પહોંચ્યા.

પછી ફોનની પરંપરા, ડ્રાઈવરને પડેલ માર… નખથી, ચપ્પલથી, લાકડીથી, પેલા ભાઈની ખરાબ તબીયત અને અંતે બીજા દિવસે અવસાન… પેલા ભાઈના લોહીના રીપોર્ટમાં નશો કર્યો હોવાનું સાબિત થવું.. અમારો છાતીમાં દુઃખાવાને લઈને એક્સ-રે અને અંતે સબ સલામત, પોલીસ અને જામીન પર ડ્રાઈવરનો છૂટકારો… એક સાથે કેટલું બધું…

‘સારૂ થયું, બહુ હવા હતી, એને આવી જ જરૂર હતી.’ એવા પ્રતિભાવો અપ્રત્યક્ષ રીતે એકાદ બે સહકાર્યકરોએ મારા વિશે આપ્યા. મોટા સાહેબોએ પૃચ્છા કરી, સરસ સપોર્ટ આપ્યો. ‘ઉભા રહ્યા એ જ તમારી ભૂલ, આવું થાય ત્યારે સીધું ગાડી લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ જવાય’ કહેનારા પણ મળ્યા અને ‘આમાં તમારે શું, પેસેન્જરનો કોઈ વાંક ન હોય’ કહેનારા પણ મળ્યા. પણ મૂળ મુદ્દો એ કે અમારા માટે કે ડ્રાઇવર માટે પણ આ પ્રથમ અકસ્માત… ઉભા રહ્યા એ જ કદાચ ભૂલ એમ પણ થયું, પણ ઉભા ન રહ્યા હોત તો આજે પોતાને શું ચહેરો બતાવત?

આ ઘટનાની હકીકત પાછળની કેટલીક સચ્ચાઈ એ પણ છે કે અમારા એડમિનિસ્ટ્રેશન વિભાગને ગાડીના અંધ થઈ ગયેલ કાચ વિશે, બદતર હાલત અને રોજેરોજના પંક્ચર – સેન્ટર બોલ્ટ તૂટવા – લાઈટ બંધ થવા જેવા પ્રસંગો વિશે ચૂંટણી પહેલાથી ફરીયાદો કરી હતી, પણ મહીનાઓ છતાં એક અથવા બીજા બહાના હેઠળ એ ધ્યાન પર નહોતી લેવાઈ. જો કે વાત એ પણ સાચી કે આવા પ્રસંગે કોઈ પર આંગળી ચીંધવાથી આપણી ભૂલ (જો હોય તો) ઓછી નથી થઈ જતી. દુર્ઘટના પછી સૂફીયાણી વાતો ફક્ત અમારી પોતાની અક્ષમતા ઢાંકવાનો પ્રયત્ન હોઈ શકે. ગાડીમાં અકસ્માત પહેલાના ત્રણ દિવસ સુધી આવનારા અમારા સાહેબ શ્રી રાજેશભાઈ થકી કુદરતે અમને સાવચેત થવા ઈશારા પણ કરેલા… પરંતુ વ્યર્થ..

ઘટના પોતાની સાથે એક આખુંય ચક્ર લઈને આવે છે. આટલા વર્ષોની પ્રોફેશનલ જીંદગીએ, ઘણા સારા-નરસા પ્રસંગોએ ઘણુંય શીખવ્યું છે પરંતુ આ દુર્ઘટનાની વાત અલગ જ છે, આપણી સાથે દુર્ઘટના થાય ત્યારે ખુશ થનારા જે શીખવે છે એ વિશ્વની કોઈ ચોપડી વર્ણવી નથી શક્તી, વયસ્ક ઉંમરે પડેલો માર અલગ જ અસર મૂકી જાય છે અને અપરાધબોધ…. એ ટોળું, એની ગાળો અને માર આજેય તાજો જ છે… કદાચ સદાય રહેશે…

નસીબ વિશે હું બહુ ખાસ માનતો નથી, ઈશ્વરે ઘણુંય આપ્યું છે – આપતો જ રહે છે અને ચાર પેઢી પહેલાની અઢળક મિલ્કત – બંગલાઓ અને ગાયો ભેંસોથી ધમધમતો ભર્યોભાદર્યો પરીવાર થી લઈને ત્રણ પેઢી પહેલાનું દસ રૂપિયા ભાડાનું મકાન અને ચાર પાંચ લોકોનો રોજેરોજ કમાઈને ખાવાનો સંઘર્ષ – એ વિશે સાંભળ્યું છે – થોડુંક જોયું પણ છે. કોઈકને એમ લાગ્યું હશે કે અમારે આ ઘટનામાંથી પસાર થવાની જરૂર હતી, તેના વિશે નકારાત્મક વિચારવાને બદલે હું એમ વિચારું છું કે ખરેખર અમે એ દુર્ઘટનાના સાક્ષી બન્યા છીએ, મતલબ ઈશ્વરને પણ એમ જ લાગ્યું હશે ને કે અમને એ ઘટનાની જરૂર હતી? જો એમ હોય તો ખરેખર વિચારવું પડશે, જીવનમાં અપનાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો પર ફરીથી વિચારવું પડશે… આપણી અંદરથી જ જો એવો શબ્દ પડઘાય કે આપણે ખોટા છીએ ત્યારે…. ખેર..

હું હવે ફરીથી બસમાં જતો થયો છું, (અલબત્ત નવી ગાડી અપાય ત્યાં સુધી), અને બસમાં વાંચવાના એ અભૂતપૂર્વ આનંદને ફરીથી માણવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

તા.ક. : આ પોસ્ટની બધી વાતો ફક્ત મારો પક્ષ છે એમ જોવી અને છતાંય તેની કોઈ પણ બાબતને વક્તવ્ય ન ગણવી.

45 thoughts on “જીવનનો સૌથી ખરાબ અકસ્માત…

  1. ભાઈ જિજ્ઞેશ, ખરેખર અણચિંતવી અને દુઃખદ ઘટના છે. લોકો તો હંમેશાં વાહન્વાલાનો વાંક કાઢે છે. વળી, અંદર કઈંક એવું દબાયેલું છે કે જે અકારણ આવા સમયે હિંસ્ક બનીને બહાર આવતું હોય છે.
    આ ઘટના જીવનભર યાદ રહેશે એમાં શંકા નથી, તમે આ ઘટનાનો એફ. આઇ. આર. કરાવ્યો જ હશે, કારણ કે તમને ત્રણેય જણને ઈજાઓ થઈ છે. પોલીસ સહકાર આ ઘટના આખું જીવન યાદ રહી જશે.
    બસ, અઘરૂં તો છે, અને હું સલાહ પણ નથી આપવા માગતો, પણ તમારા મન પર આ વાતનો ભાર ન રહે એવું મિત્ર તરીકે તો ઇચ્છું છું. જે થઈ ગયું તે થઈ ગયું. શક્ય હોય તો રજા લઈને ક્યાંક ફરી આવો..

    Like

    • દીપકભાઈ,

      આપના પ્રતિભાવ અને શુભેચ્છાઓ બદલ આભાર. પોલીસ કમ્પ્લેઈન તો બંને તરફથી થઈ હતી પણ અંતે ગાડીના માલિક અને અકસ્માતગ્રસ્તના પરિવાર વચ્ચે સમાધાન થઈ જતા આખાય મામલે શાંતિ થઈ. એમાં અમે અમારી વાત જતી કરી છે.

      ફરી એક વાર આપનો આભાર. ધન્યવાદ

      Like

  2. ઓહ…! અત્યંત પીડાદાયક દુર્ઘટના .ટોળાંને વિચારશક્તિ કે વિવેકબુદ્ધિ હોતી નથી તેનો એક વધુ પુરાવો .આપણા જેવાં સંવેદનશીલ અને આખી ઘટનામાં સાવ નિર્દોષ વ્યક્તિઓને જે ઘૃણાસ્પદ હિંસા અને તિરસ્કાર અનુભવવા પડ્યા તે જાણીને હૃદય દ્રવે છે.ભલું થજો એ બાઈકવાળા ભાઈનું જેમણે ખરે જ આપદધર્મ બજાવ્યો.

    Like

  3. જીગ્નેશભાઈ,અકસ્માત થી થયેલો તમે જે જાત અનુભવ વર્ણવ્યો,એ ખરેખર ધ્રુજાવી નાખે એવો છે.આવો જ અનુભવ મને હું જયારે નાની હતી ત્યારે એક ગોઝારી ઘટના દ્વારા થયો છે.એને હું આજે પણ ભૂલી નથી શકી,માટે તમારી મનોસ્થિતિ સમજી શકાય એવી છે.

    Like

  4. ઓહ્હ્હ્હ્હ્હ.માય ગોડ… ! શબ્દોમાં શું લખવાનું ? આવા અનુભવો જીવનમાં ઘનું શીખવી જતા હોય છે.પરંતુ ઘણીવાર એ માટે બહું આકરી કીમત ચૂકવવી પડતી હોય છે. ટેક કેર.. અનેક શુભેચ્છાઓ સાથે..

    Like

  5. Jignesh bhai, Apnu aakhu jivan vibhinna ghatna thi bharelu che. Jyare anubhav thai tyare apne khub vichar kariye chhiye. Aam kem thayu ? Je thavanu hatu te thayu. Badhu bhuli jao. Iswar no abhhar mani jindge ne jetlu mani sakta hoi tetlu mano.
    “Aajno lahavo lijire kal kone dithi chhe” Bhagwan tamne “Dirghayushya” kare aavi subhhechha.
    bhaskar bhai thakar

    Like

  6. આ અચાનક આવી પડેલ ભૂકંપનો આચકો હતો . . અને આફ્ટરશોક પણ આવતા જ રહેશે 😦 , કારણકે સંવેદનશીલ લોકોની દુઃખદ સ્મૃતિ ઘણી તેજ હોય છે . . . માત્ર પ્રેમાળ પરિવાર જ સધિયારો બની રહે છે .

    અને ટોળા માટે તો એટલું જ કહેવાનું કે જેમ ટોળું મોટું તેમ . . . તેમની બુદ્ધિનો ભાગાકાર થવા માંડે છે !

    Like

  7. જીગ્નેશભાઈ,

    અકસ્માત તો થઈ ગયો, પણ શહેરના હોય કે ગામડાના, લોકોનું માનસ હંમેશા બેકાબુજ રહેવાનું. એકે ઠમઠોર્યું, તો બીજો કેમ બાકી રહી જાય? તમે નસીબદાર કે બાઈક સવાર મળી ગયો અને સમયસર તમે ચેતી ગયા અને બચી ગયા, ભગવાનનો ઉપકાર જ ગણાય. તમો બધા જલ્દી સાજા થઈ જાવ તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.

    Like

  8. તમારો આ અનુભવ અહીં બધા સાથે વહેંચવાથી એટ્લો ફાયદો જરૂર થશે કે ભવિષ્યમાં જ્યારે કોઇ સાથે, ન કરે નારાયણને, આવી ઘટના બને ત્યારે શું શું ન કરવું એટલું તો જાણવા મળશે.
    અને એ રીતે, કોઇક્ની સાથે ઇતિહાસ એ જ સ્વરૂપે પુનરાવર્તન નહીં થાય, તે સંતોષ તમારા માનસીક ઘાને કંઇક અંશે હળવો કરવામાં કદાચ મદદરૂપ થશે.
    બહુ જ ઝડપથી તમે અને તમારા સહમુસાફરો સ્વસ્થ બની રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ.

    Like

  9. અમારા માટે કે ડ્રાઇવર માટે પણ આ પ્રથમ અકસ્માત… ઉભા રહ્યા એ જ કદાચ ભૂલ એમ પણ થયું, પણ ઉભા ન રહ્યા હોત તો આજે પોતાને શું ચહેરો બતાવત? – મતલબ ઈશ્વરને પણ એમ જ લાગ્યું હશે ને કે અમને એ ઘટનાની જરૂર હતી? જો એમ હોય તો ખરેખર વિચારવું પડશે, જીવનમાં અપનાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો પર ફરીથી વિચારવું પડશે…
    જયારે સામાન્ય ધર્મ અને આપદ ધર્મ વચ્ચે ભેદ ન પારખ્યો હોય ત્યારે આવું બને જ છે. જો અચાનક આપદ આચરણ કરવાનો આવે ત્યારે પ્રથમ પોતાને બચાવવા અને સાથે વાળાને બચાવવા તે જરૂરી છે. તે સમયે જો સામાન્ય ધર્મ નું આચરણ કરવા રહીએ તો આવી પરિસ્થિતિ થાય છે. તે પછી પોલીસ સ્ટેશન જઈ જાણ કરીને તેમની મદદ લઇ ઘાયલવ્યક્તિને પણ મદદ થઇ શકત !!

    આમાં નશીબ કે પ્રારબ્ધ જેવું કંઈ નથી જે ભૂલ થઇ તે ભોગવવી પડે તે કર્મનો સિધ્ધાંત જ છે.

    Like

  10. ટોળાને અક્કલ નથી હોતી એ ફરી એક વાર સાબિત થયું- તમે કર્યું તેમાં કશું ય ખોટું ન હતું પણ તમારા દાક્ષિણ્યને મૂલવવામાં ટોળું ઉણું ઉતર્યું. આવી ઘટનાઓ જીવનમાં હંમેશા કંઇક શિખવાડી જાય છે.

    Like

  11. ટોળાને અક્કલ નથી હોતી એ ફરી એક વાર સાબિત થયું- તમે કર્યું તેમાં કશું ય ખોટું ન હતું પણ તમારા દાક્ષિણ્યને મૂલવવામાં ટોળું ઉણું ઉતર્યું. આવી ઘટનાઓ જીવનમાં હંમેશા કંઇક શિખવાડી જાય છે.
    ટોળાને અક્કલ નથી હોતી
    ટોળાને અક્કલ નથી હોતી
    ટોળાને અક્કલ નથી હોતી
    ટોળાને અક્કલ નથી હોતી
    ટોળાને અક્કલ નથી હોતી
    ટોળાને અક્કલ નથી હોતી
    ટોળાને અક્કલ નથી હોતી
    ટોળાને અક્કલ નથી હોતી
    ટોળાને અક્કલ નથી હોતી
    SAVE THE GOD TO YOU AND DRIVER ALSO.

    DRPATEL
    AND SANDIP VAIDYA
    “Vaidya Trackking.Saurabh Park”

    Like

  12. ભુતકાળ ભુલી નવી ગાડી મળે ત્યાં સુધી તમે બસમાં જવાનું શરુ કરી તેમજ એ અભુતપુર્વ આનંદને ફરીથી માણવાનો હકારાત્મક પ્રયત્ન કરી રહ્યાનું જાણી આનન્દ…. તમારા સાથી કર્મચારીઓ ઝટ સ્વસ્થ થાય તેવી હાર્દીક શુભકામનાઓ…..

    Like

  13. Even though we have never met, through AKSHARNAAD you have become part of my life.I am deeply disturbed and shocked.Just get well soon my friend.
    Now I personally think that you did right thing by stopping to take care of that person. That does prove one thing for sure that you are as they say “MUTTHI OONCHERO MAANVI”.
    Yes outcome of your action was not the one desired, but as much as i know you through ‘AKSHAR DEH”, if you would not have stopped that would have bothered you for ever.
    Npw I am in USA for more than last two decades, but I once was a part of very bad accident in ‘BHAKHA”,Saurastra (Near Una), and experience was exactly opposite than yours, I will share that with you in personal email later on,but for now get well soon my friend and (your coworker too). God would have kept you alive no matter what bcoz without you, ‘AKSHARNAAD’, would have become orphan.

    Like

  14. ટોળાઓ અને માથાફરેલ માણસો આ દેશમાં પળ વારમાં કાયદો હાથમાં લઈ લે છે. અહીં નાગરીકત્વ જેવું વ્યવહારમાં કશું છે જ નહીં. માત્ર અકસ્માત વખતે જ નહીં કોઈ પણ ઘટના વખતે જ્યાં ટોળાઓ ભેગા થાય ત્યારે ત્યાં શું થશે તે કહી ન શકાય.

    ઝડપથી શારીરીક અને માનસીક સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ…

    Like

  15. ” જો કે વાત એ પણ સાચી કે આવા પ્રસંગે કોઈ પર આંગળી ચીંધવાથી આપણી ભૂલ (જો હોય તો) ઓછી નથી થઈ જતી. દુર્ઘટના પછી સૂફીયાણી વાતો ફક્ત અમારી પોતાની અક્ષમતા ઢાંકવાનો પ્રયત્ન હોઈ શકે. ગાડીમાં અકસ્માત પહેલાના ત્રણ દિવસ સુધી આવનારા અમારા સાહેબ શ્રી રાજેશભાઈ થકી કુદરતે અમને સાવચેત થવા ઈશારા પણ કરેલા… પરંતુ વ્યર્થ..” માં તમને ઈશ્વરીય સંકેત તો આગોતરો અપાયો જ હતો !એનો એકરાર પણ નોંધવાલાયક છે જ !
    ——————————————————————————————————————–
    “જીવનમાં અપનાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો પર ફરીથી વિચારવું પડશે…
    જયારે સામાન્ય ધર્મ અને આપદ ધર્મ વચ્ચે ભેદ ન પારખ્યો હોય ત્યારે આવું બને જ છે. જો અચાનક આપદ આચરણ કરવાનો આવે ત્યારે પ્રથમ પોતાને બચાવવા અને સાથે વાળાને બચાવવા તે જરૂરી છે. તે સમયે જો સામાન્ય ધર્મ નું આચરણ કરવા રહીએ તો આવી પરિસ્થિતિ થાય છે. તે પછી પોલીસ સ્ટેશન જઈ જાણ કરીને તેમની મદદ લઇ ઘાયલવ્યક્તિને પણ મદદ થઇ શકત !! ” માં પણ ભારોભાર તથ્ય છે!
    ——————————————————————————————————————–
    એક વાત તમારી સાવ સાચી :-” જીવનભરનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો કે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, હોશ અને હકારાત્મકતાના લીરે લીરા ઉડી ગયા, શારીરિક – માનસીક આઘાત તો ખરો જ, સાથે સાથે કેટલાક સંબંધોની સચ્ચાઈ પણ અવાંચ્છિતપણે સામે આવી ગઈ.ઘટના પોતાની સાથે એક આખુંય ચક્ર લઈને આવે છે. આટલા વર્ષોની પ્રોફેશનલ જીંદગીએ, ઘણા સારા-નરસા પ્રસંગોએ ઘણુંય શીખવ્યું છે પરંતુ આ દુર્ઘટનાની વાત અલગ જ છે,”
    “હું એમ વિચારું છું કે ખરેખર અમે એ દુર્ઘટનાના સાક્ષી બન્યા છીએ, મતલબ ઈશ્વરને પણ એમ જ લાગ્યું હશે ને કે અમને એ ઘટનાની જરૂર હતી? જો એમ હોય તો ખરેખર વિચારવું પડશે, જીવનમાં અપનાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો પર ફરીથી વિચારવું પડશે… આપણી અંદરથી જ જો એવો શબ્દ પડઘાય કે આપણે ખોટા છીએ ત્યારે…. ખેર..” -તમારા આ શબ્દો તમારા ઉમદા વ્યક્તિત્વ અંગે ઘણું ઘણું કહી જાય છે.. અને એક વાત ચોક્કસ છે કે, .” તમે લકી પણ ગણાઓ કારણકે બેકાબુ પીધેલા લોકોને સાન-ભાન હોય નહિ…વધુ ગોઝારી વાત ન બની જાન બચી, લાખોં પાયે”
    —————————————————————————————————————
    તમારું ગાયેલું ગીત પણ સાંભળવા મળ્યું…તેનો આનંદ પણ વ્યક્ત કરી લઉં…ત્યાં ચૂકી ગયો હતો,બીજો કોલ આવેલો એટલે…

    Like

  16. ”આપણી સાથે દુર્ઘટના થાય ત્યારે ખુશ થનારા જે શીખવે છે એ વિશ્વની કોઈ ચોપડી વર્ણવી નથી શક્તી,….’ પોલીસ સ્ટેશન જઈ પોતાની સલામતી ના ભોગે અકસ્માત ના ભોગ બનેલ ને સારવાર મળે એવા પ્રયત્ન ને ભૂલ ગણવી પડે એ દુર્ઘટના ની મોટી કમનસીબી છે કિન્તુ એ ભૂલ પ્રશંસા ને પાત્ર છે .અને એના પરિણામ રૂપે જ ઈશ્વરે બાઈક સવાર ને સહાય અર્થે મોકલ્યો હશે ?

    Like

  17. I don’t know much but nobody has mentioned that “This is actually the fault of System”. This incident proves that people don’t much believe in System to get the correct justice and hence they overruled it. I believe that its not fault either or not even of driver as accidents could happen “anywhere” with “anybody”. The understanding should be when it happens how “we” should tackle them.

    Definitely you should be thankful to that angel who came from nowhere and save your life and given you a chance to think all these. God bless you.

    Like

  18. ડીઅર જીગ્નેશભાઈ, હું દાતરડી પાસેના ગામ સમઢીયાળાનો જ વતની છું , મને તે પાગલ ટોળાના ગામ નું નામ જણાવશો તો તમારો આભારી થઈશ . અલબત અહી ના લખી શકો તો મને મેઈલ માં લખજો … મારું મેઈલ છે mitmania2003@gmail.com અને મારી વેબસાઈટ http://www.mitulthaker.com છે

    Like

      • હા, દરબારો નું ગામ છે ….. ત્યાના લોકો ઘણા સારા છે, ખબર નહિ તમારી સાથે કેમ આવું થયું …. એની વે તમારી કંઈ વસ્તુ ગઈ ખરી ? મારા એક બે મિત્રો ત્યાં રહે છે, તે મારી સાથે માઢીયા આશ્રમ શાળા માં અભ્યાસ કરતા હતા . કઈ ગયું હોય તો કહેશો …. અને હું પીપાવાવ પોર્ટ જરૂર આવીશ ત્યાં કેતન જોશી નામે મારો મિત્ર, સબંધ માં મામા જોબ કરે છે . હું તમને જરૂર મળીશ . તમારું સંપર્ક સૂત્ર આપશો પ્લીઝ …..

        Like

Leave a comment