ત્રણ દિવસ મુંબઈમાં …
આ વખતની મુંબઈની મુલાકાત તેના હેતુઓની દ્રષ્ટિએ મહદંશે નિષ્ફળ રહી પણ તે સિવાય આયોજન નહોતું કરેલું એવી વાતોમાં મજા આવી -
અમારી “સસ્ટેઈનેબિલિટી ઓફ એડવાન્સ કન્સ્ટ્રક્શન મટીરીયલ્સ એન્ડ ટેકનીક્સ” કોન્ફરન્સ રદ્દ થઈ, પણ એથી વધુ ખરાબ તો એ લાગ્યું કે માઈન્ડસ્કેપ એશિયા દ્વારા આયોજીત આ કોન્ફરન્સના સ્થળ, મીરાડોર હોટલ, અંધેરી પહોંચ્યો અને અડધો કલાક રાહ જોઈ પછી એ કહેવા આવ્યા કે કોન્ફરન્સ નથી થવાની કારણકે દુબઈથી આવવાના હતા તે સ્પીકરના કોઈક સગા ગુજરી ગયા છે, એટલે આ કોન્ફરન્સ આવતા મહીને થશે. એડવાન્સ ટિકિટ બુક કરાવી હોવાથી અને સપરિવાર ત્યાં ગયા હોવાથી બે દિવસ મુંબઈમાં જ વીતાવવા પડ્યા.
બોરીવલી લોકશક્તિમાંથી ઉતરીને સવારે સવા પાંચે ભાંડુપ જવા માટે મને સૂચવાયેલી ૪૬૧ નંબરની બસ તરત જ મળી અમને ૩૦ મિનિટમાં યથાસ્થાને પહોંચાડ્યા ત્યારે એ જ દિવસે સાંજે ભાંડુપથી બોરીવલી એ જ રસ્તે સાડા ત્રણ કલાક થયા. વહેલી સવારનું શાંત મુંબઈ અનોખું દ્રશ્ય આપે છે. અને સાંજે એમ્બ્યુલન્સને જવાનો રસ્તો પણ મળતો નથી.
અને એ બે દિવસમાં વિનયભાઈ ઓઝાને મળવાનો અને તેમની સાથે ધ વિલેજ – બોરીવલીના રઘુલીલા મોલના બીજા માળે આવેલા આ અનોખા ગુજરાતી થીમ રેસ્ટોરન્ટમાં જવાનો અવસર યાદગાર રહ્યો. આ એક અનોખું ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતું સ્થળ છે. રેસ્ટૉરન્ટની ટિકિટ જો કે વીકએન્ડમાં ૪૦૦/- રૂપિયા પ્રતિ સભ્ય હોય છે, બાળકો માટે એ થોડીક ઓછી હોય છે, દરવાજેથી હાથ પર ટેટુ સ્ટેમ્પ કરાવીને અંદર ગયા પછી વાતાવરણ તરત જ બદલાઈ ગયુ.
અંદર કુંભાર (ચાકડા સાથે અને માટલા ઘડતો) બંગડીઓ વેચવા વાળો, ભવિષ્યવેતા, ટેરેટ કાર્ડથી ભવિષ્યકથન કરતી સ્ત્રી, મહેંદી મૂકાવવાની વ્યવસ્થા જેવી અનેક અવનવી વ્યવસ્થાઓ છે. એક નાનકડી છોકરી કુંભારના ચાકડે માટલું બનાવતા શીખતી હતી, કેટલીક બહેનો મહેંદી મૂકાવતી હતી, કોઈક ભવિષ્ય જાણવા માંગતા એમ અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતાં. મને જે ખૂબ ગમ્યું એ બાયોસ્કોપ – નાનપણમાં પોરબંદરની ગલીઓમાં પાંચ પૈસામાં જેમાં અમે રાજકપૂરના ગીત જોતા એ પછી આજે ફરીથી એ જ અવસ્થામાં જવા મળ્યું. ચોક્કસ સમયે કઠપૂતળીના ખેલ પણ અહીં થાય છે. તો એ પછી ગરબા પણ યોજાય છે જેમાં લોકો ઉત્સાહભેર ભાગ લે છે. આટલી વાતો થઈ રેસ્ટોરન્ટની વધારાની સુવિધાઓની – જમવા સિવાયની.
જમવા માટે કાઠીયાવાડી, જૈન, ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઈન્ડિયન જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતાં, સાથે ગુજરાતની વિશેષતા સમા ખીચું, ઢોકળા, કચોરી, પાણીપૂરી, દહીંપૂરી, સેવપૂરી, બરફગોલા, છાશ, જલજીરા, પેલા અમે જેને મીઠ્ઠું રૂ કહીએ છીએ એવા બુઢ્ઢીના વાળ, કોન આઈસ્ક્રીમ અને કુલ્ફી જેવા અનેક ખૂમચાઓ હતાં. અમે તો પાણીપૂરી અને દહીંપૂરી પછી કાઠીયાવાડી પર જમાવ્યું. છેલ્લે જૈન ખીચડી અને કઢી, તે પછી છાસ, જલજીરા અને અંતે બરફ ગોળો. અને બાકી હતું તે ઢોલીયા પર રજવાડી બાપુની જેમ બેઠા બેઠા કલકત્તી પાન પણ આરોગ્યું. પાન અને બાયોસ્કોપ સિવાય બીજુ બધું ટિકીટમાં આવી ગયેલું. સાડા દસે એ બંધ થવા સમયે અમે ત્યાંથી નીકળ્યા ત્યારે ત્યાંના મેનેજરને કહીને નીકળ્યો કે આ વિશે મારા બ્લોગમાં અવશ્ય લખીશ. અને વિશેષમાં અહીંનો સ્ટાફ ખૂબ વિનયી અને મદદરૂપ હતો.
સાથે આ મુલાકાતમાં અક્ષરનાદથી જેમનો પરિચય થયેલો તેવા વિનયભાઈ ઓઝા સાથે ખૂબ વાતો કરી. ‘શંભુ ચરણે પડી…’ ના રચયિતા જેમના નાના થાય તેવા વિનયભાઈ ઓઝાએ કારકિર્દીની શરૂઆત રંગમંચથી કરેલી, પણ પછી એ ક્ષેત્રને ત્યજીને તેઓ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે, પણ નાટકનો રસ હજુ તેમની અંદર જીવે છે. તેમના નાનાજીનું એ પ્રાર્થના પુસ્તક જેમાં શંભુ ચરણે પડી ઉપરાંત એવી ૭૯ અન્ય પ્રાર્થનાઓ – ભજનો છે એ પુસ્તક અક્ષરનાદના વાચકો માટે આપવાની તેમણે સંમતિ આપી છે.
સ્થળો શોધવા ગૂગલ લોકેશન્સનો ભરપૂર ઉપયોગ કર્યો., જો કે મીરાડોર હોટલનું લોકેશન છસ્સો મિટર ખોટું બતાવ્યું છતાં અન્ય સ્થળો લગભગ નજીક હતાં. રવિવારે અક્ષરનાદના એક અન્ય વાચકમિત્ર શ્રી હર્ષદભાઈ દવે ને મળવા જવાનું હતું, પણ મેગાબ્લોકને લીધે વિરારથી આવતી ટ્રેન ભાયાંદરથી પકડવાની હોવા છતાં એક કલાકે આવતી ટ્રેનના એકાદ ઈંચ જેટલા ભાગ પર હું મારો કબજો જમાવી શક્યો નહીં, એ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો, અને હર્ષદભાઈને મળી શકાયું નહીં. તે પછી ભાયાંદરના રવિવારીબજારમાં ભટક્યો. કોઈક નેતાએ જૈનોએ ઉત્સવના દિવસો દરમ્યાન માંસની દુકાનો બંધ કરવાની વિનંતિ વિરુદ્ધ તેમને ભાયાંદર છોડી જવાના આપેલા બયાનના સંદર્ભે તેમના રાજીનામાની માંગણી જૈનો દ્વારા થયેલી અને રેલી થઈ હતી એટલે ભાયાંદર સ્ટેશનથી ઘરે ચાલતું જવું પડ્યું.
આમ આ બે ત્રણ દિવસ કોઈ પણ આયોજન વગર વીત્યા છતાંય મજા આવી, ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કર્યો અને ફેસબુકને ત્યજવાની તૈયારી હવે કરી લીધી છે. મને લાગે છે કે ફેસબુકવૈરાગ્ય આવી રહ્યો છે.

વ્યાવસાયિક દૃષ્ટિએ ભલે આપણે ધરમ ધક્કો થયો પરંતુ સપરિવાર મોજ માણી અને તેની અભિવ્યક્તિ અહીં કરી તેનો આનંદ છે. આપણે મળી ન શક્યા પરંતુ મને આશા છે કે ભવિષ્યમાં આપણે ચોક્કસ મળી શકશું. શરદબાબુની આવારા મસીહા (બૃહદ) મારા મનમાં રમે છે. જે આપે પણ વાંચી હશે. અનુવાદ ક્યારે થશે…કરવા મળશે કે નહિ વગેરે પ્રશ્નોનો હાલ તો કોઈ જ જવાબ મળતો નથી. – હર્ષદ દવે.
ચોક્કસ સાહેબ, તમને મળવાની ઈચ્છા તો અધૂરી જ રહી ગયેલી. આપણે હજુ ઘણી વાતોની ચર્ચા કરવાની છે.
આશા છે જલદી મળીશું.
મુંબઈમાં કાર્યક્રમ રદ્દ થાય, ગુંડા ગીરદીથી પરીક્ષાઓ રદ્દ થાય, વહેલી સવારના બસને ૩૦ મીનીટ લાગે અને સાંજે ૩:૩૦ કલાક લાગે, રવીવારે મેઘા બ્લોકને કારણે લોકલ ટ્રેનમાં મુસાફરીમાં અડચણ થાય, સાંજના બસમાં મહીલાઓ પાછલા ને બદલે આગળના દરવાજેથી એટલી બધી ચડે કે ઉતરવા ન આપે, સવારના દરેક લોકલ ટ્રેનમાં ભીડમાં ચડવા જગ્યા જોઈએ પણ ચડી ગયા પછી બીજાને ચડવા ન દે, લોકલ ટ્રેનમાં ચોથી સીટ ઉપર માંડ માંડ ૧-૨ ઈંચ જેટલી જગ્યા મળે, લોકલ ટ્રેનની બારી બહાર બીંદાસ થુકવું, ભીડમાં બેસતી વખતે પગ પહોડા કરીને બેસવું, લોકલ ટ્રેનમાં તમ્બાકુ ખાવું કે ભજનો ગાઈ રાગડા તાણવા, ભીડના સમયે મહીલાઓની ખાસ લોકલ ટ્રેન ખાસ લોકલ બસ જોઈ નવાઈ લાગે. મુંબઈમાં સવારના ૫:૦૦ કે ૫:૩૦ વાગે લોકલ ટ્રેનમાં ડોમ્બીવલી થી મુંબઈ આવવું હોય તો બેસવા જગ્યા ન મળે, ભીડના સમયે દાદર કે કુર્લા કોઈ ઉતરે તો પ્લેટ ફોર્મથી બહાર નીકળતાં ૬-૭ મીનીટ લાગે, ખરેખર મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી…..
મુંબઈ યુનીવર્સીટી દેશની જુની વીદ્યાપીઠ કહેવાય અને ભારતમાં ટ્રેનની શરુઆત મુંબઈમાં થઈ પણ નોબેલ ઈનામમાં મુંબઈ વીદ્યાપીઠ પાછડ અને લોકલ ટ્રેનમાં ચડવું એટલે જાણે સંગ્રામ…………
સાચી વાત કહી સાહેબ, અને એમાંય છેલ્લા છ વર્ષથી પીપાવાવ જેવી ખૂબ ઓછી વસ્તી ધરાવતી અને શાંત જગ્યાએ રહ્યા પછી મુંબઈની ટ્રેનમાં ચડવાનો અને રવિવારીબજારમાં ભટકવાનો અનુભવ ગૂગળામણ જેવો લાગે છે. મુંબઈમાં કમાણી તો હશે… છે પણ એની સાથે ગુમાવવાનું પણ ઘણું છે.
ધ વિલેજ અમદાવાદમાં પણ છે, પણ મુંબઈ વાળા વિલેજ જેટલી મજા એમાં નથી.
અમદાવાદના વિલેજમાં જવાનું બાકી છે પણ તમારો રીવ્યુ જોઈને લાગે છે કે ત્યા ન જઈને ગુમાવવા જેવુ કાંઈ નહીં હોય.
સુરત નજીક ચોખી ઢાણી છે ત્યાં પણ આ પ્રકારનું વાતાવરણ અને ખાવાનું હોય છે. જોકે ત્યાં રાજસ્થાની સંસ્કૃતિ અને રાજસ્થાની ખાવાનું વધુ જોવા મળે છે.
- ચોખી ઢાણી – There ia one RESORT at Rajkot also on Rajkot Jamnagar Hogh Way. in which all the hospitalities are like thos of Rajasthan.
જીગ્નેશભાઈ અમદાવાદમાં વિલેજ થીમ પર એકથી એક ચઢિયાતી રેસ્ટોરન્ટ છે . અમદાવાદમાં રજવાડું, માધુર્ય, વિન્ટેજ વિલેજ, આધાર, વિશાલા, ચોખી ધાની, ધ વિલેજ, અતિથી ગોકુલ જેવી વિલેજ રેસ્ટોરન્ટ છે. દરેક રેસ્ટોરન્ટમાં ટેસ્ટ, થીમ, સ્પેસ, રેટ અલગ અલગ છે . વિન્ટેજ વિલેજમાં વિન્ટેજ કારનો મોટો કાફલો છે , આપ અહિયાં દેશી રાજા રજવાડાની ઈમ્પોર્ટેડ કાર મુકવામાં આવેલી છે . રજવાડું અને માધુર્યમાં ખુબજ ઓછી લાઈટ હોવાથી ખરેખર ગામડામાં આવ્યા હોય તેવું લાગે છે . આધાર શહેર વચ્ચે હોવાથી જગ્યા ઓછી છે અને શાંતિનું વાતાવરણ નથી પણ ત્યાનો ટેસ્ટ લિજ્જતદાર છે . ચોખી ધાનીમાં સ્પેસ પણ છે , ટેસ્ટ પણ છે પણ ઓરીજીનલ રાજસ્થાન જેવી થીમ નથી અને અહિયાં રેટ ક્વોલીટીની સામે ખુબજ વધુ છે . વિશાલા જૂનામાં જૂની રેસ્ટોરન્ટ છે અને તેઓ કદાચ કમાઈને થાકી ગયા લાગે છે માટેજ કઇંક નવું ફેરફાર કરતા નથી અને થીમ જૂની થઇ ગઈ છે . અતિથી ગોકુલ પણ ખુબજ મોટી છે અને ત્યાં રેટ અને ટેસ્ટ બન્ને સેટ થઇ જાય તેમ છે . ધ વિલેજ હિમાલયા મોલમાં છે અને તેમાં કંઈ ખાસ નથી . આપ અમદાવાદ આવો તો આપની પાસે ઘણા ઓપ્શન વિલેજ થીમ માટે છે , અને આપ ગૂંચવાઈ જાવ તો મને જરૂર યાદ કરજો .
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા